Friday, May 7, 2010

કરમદા (Black Currant or Conkerberry or Bush Plum [Carissa spinarum earlier Carissa congesta])

કાંટાઝાંખરા પ્રકારનુ વૃક્ષ ભારતનુ મૂળ વતની હોવાનું મનાય છે.  બારેમાસ લીલું અને પ્રતિકૂળ હવામાનમાં ટકી શકતુ નાના વ્રુક્ષ પ્રકારનુ ઝાડ છે. તેનાં પાન લીલાં ચમકદાર હોય છે. તેનાં ફૂલ સફેદ અને સુવાસિત હોય છે. તેની ડાળીઓ પર ૧ થી ૩ સેન્ટીમીટર લાંબા કાંટા હોય છે.  
આ ઝાડની ખૂબી એ છે કે તે પડતર અને ખરાબા વાળી હલકી જમીન પર પણ ઉગાડી શકાય છે. કરમદાના ફળ કાચા અને પાકા બન્ને અવસ્થામાં વાપરી શકાય છે. કાચા ફળ અથાણા બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે અને સ્વાદિષ્ટ અથાણુ બને છે. 
 આ છોડ એક કરતા વધુ થડ ધરાવતો હોય છે અને અડધાથી માંડી ને ૩ મીટર સુધી વધી શકે છે. આ વૃક્ષના ઘટાટોપ ઉગાવાને ગીર ના માલધારીઓ "કરમદીનો ઢુંવો" કહે છે. ઉનાળામાં ગીર માં જ્યારે મોટા ભાગની લીલોતરી સુકાઈ ગઈ હોય ત્યારે ફક્ત આ વૃક્ષ જ ગીર ના સિંહો ને શીતળતા બક્ષે છે.
 

Tuesday, April 20, 2010

ગુગ્ગળ (Salai [Commiphora wightii])

"ગુગ્ગળ" શબ્દ સાંભળતા જ આપણા ચિત્તમાં એક ચીર-પરિચિત મહેક પ્રસરી જાય છે. હા, ધૂપ માટે વપરાતો એ પદાર્થ જે વૃક્ષ પર ઉગે છે તેને પણ ગુગ્ગળ કહે છે. 
ગુગ્ગળ સાધારણ ઉચાઇ ધરાવતું પાનખર પ્રકારનું વૃક્ષ છે. સામાન્યપણે એની ડાળીઓ જમીન તરફ નીચે જુકતી જોવા મળે છે, થડ મોટેભાગે ૩ થી ૫ મીટર જેટલું લાંબુ અને રાખોડી રંગનું હોય છે. 
 
વૃક્ષ ૯ - ૧૫ મીટર જેટલું ઊંચું થાય છે. પાંદડાઓ કંઈકઅંશે લીમડા ના વૃક્ષના પાંદડાઓને મળતા આવે છે.

Saturday, March 13, 2010

કડાયો [Sterculia urens]

કડાયો એ માધ્યમ કદનું પાનખર પ્રકારનું ઝાડ છે જે ઊચાંઈ માં ૧૫ મીટર જેટલું વધે છે અને ઓછા વરસાદવાળા કે રણ જેવી આબોહવા ધરાવતા વિસ્તારોમાં ટકી શકે છે. 

ગીર માં અલભ્ય અને ઊડીને આંખે વળગે એવું વૃક્ષ જો કોઈ હોય તો તે છે કડાયો. આ વૃક્ષને સફેદ વૃક્ષ પણ કહેવાય છે. પાનખર ઋતુ પછી ડાળીઓ અને થડોનો રંગ સફેદ ગુલાબી થાય છે. પાન ગુલાબી-લીલા રંગનાં લંબગોળ તથા છાલ ચાઠાવાળી ઉખડેલી જોવા મળે છે. આ વૃક્ષમાંથી નીકળતો ગુંદર કડાયા ગુંદર તરીકે ઓળખાય છે અને તે રંગકામ તેમજ દવાઓમાં ખૂબ જ ઉપયોગી છે.

આ વૃક્ષના ફૂલો રંગે લીલાશ પડતા પીળા, ૪ થી ૬ રોમકુંપ ધરાવતા, લગભગ અઢી સેન્ટીમીટર ના ધેરાવાવાળા અને અવ્યવસ્થિત ઝૂમખાં માં ઉગે છે. જાન્યુઆરી થી માર્ચ મહિના દરમ્યાન ફૂલો આવે છે. 


અને એપ્રિલ / મે મહિના દરમ્યાન ફળો લાગે છે. 

આ વૃક્ષ ને ઊગવા માટે સુકો અને ઉષ્ણ કટીબંધીય વિસ્તાર માફક આવે છે.  
એક સમયે ભાવનગર પાસેનાં માળનાથ મહાદેવ પાસે એક સાથે ૭ થી ૮ કડાયા નાં વૃક્ષ ખુબ સુંદર અને મનમોહક વાતાવરણ સર્જાતા હતા.

Thursday, February 18, 2010

ઘાબાજરીયું (Lesser Indian Reedmace – [Typha angustata ])

ઘાબાજરીયું એક કે એક કરતા વધુ વર્ષનું આયુષ્ય ધરાવતી, જલપ્લાવિત વિસ્તાર, તળાવ કે નદી-કિનારાના છીછરા પાણીમાં ઉગતી, અને દેખાવમાં ઘાંસ જેવી લાગતી વનસ્પતિ છે. ઉચાઈમાં તે દોઢથી બે મીટર જેટલી વધી શકે છે અને તેના પાન ૫ થી ૧૨ મીલીમીટર પહોળા થાય છે.



નર અને માદા ફૂલ એકજ ડાળખી ઉપર લાગે છે અને થોડા વખતમાં નર ફૂલો ખરીને હવામાં ફેલાઈને માદા ફૂલોને ફળાવે છે. નર ફૂલ ખરી ગયા પછી ડાળખી ને છેડે એક ટૂંકો અણીયાળો ભાગ બાકી રહી જાય છે જ્યારે નીચે નું માદા ફૂલ (જે ડૂંડા જેવું દેખાય છે) ૧૦ થી ૪૦ સેન્ટીમીટર જેટલું લાંબુ અને ૧ થી ૪ સેન્ટીમીટર જેટલું પહોળું થાય છે જેમાંથી લગભગ ૦.૨ મીલીમીટર લંબાઈના રેષાવાળા બીજ હવામાં ફેલાઈને છોડ નો ફેલાવો કરે છે. આ છોડના માદા ફૂલ (અથવા ડૂંડા જેવા ભાગ) માંથી નીકળતો રૂ જેવો પદાર્થ શરીર પર પડેલા ઘા પર જલદી રૂઝ લાવવા માટે બહુ અસરકારક ગણાય છે અને એથીજ આ વનસ્પતિને આવું નામ આપવામાં આવ્યું છે.


Saturday, January 23, 2010

પિલુ [Salvadora persica]

પીલુ નું ઝાડ (કે છોડ) વાંકાચૂકા થડવાળું અને ભાગ્યે જ એક ફૂટ કરતા વધારે વ્યાસનું થડ ધરાવતું હોય છે જ્યારે ડાળીઓ ખરબચડી, ધોળાશ પડતી અને છેડેથી જુકેલી હોય છે. મૂળ પાસેના થડનો રંગ રેતી જેવો હોય છે અને અંદરની સપાટીઓ તો એથી પણ હલકા કથ્થાઈ રંગની હોય છે.

તેનામાં સોડમ ની સાથોસાથ તીવ્ર સ્વાદ હોય છે. ભારતભરમાં આ વનસ્પતિની કુમળી ડાળખીઓ નો ઉપયોગ દાતણ તરીકે પણ થાય છે.
આખો ભાલ પ્રદેશ જ્યારે ઉનાળામાં સુકાઈને સુક્કોભઠ્ઠ થઇ જાય છે ત્યારે ફક્ત પીલુડી જ આંખોને શીતળતા બક્ષે છે.

Wednesday, December 30, 2009

ઉમરો અથવા ઉમરડો (Cluster Fig Tree [Ficus Racemosa])

 Ficus કુળ નું આ વૃક્ષ એના કુળ ના બીજા વૃક્ષોથી એ રીતે અલગ પડે છે કે આ વૃક્ષના ફળ એની ડાળીઓ પર પણ ફૂટે છે. ઉમરાને તોડવાથી કે કાપવાથી દુધ જેવું સફેદ દ્રવ નીકળે છે. તેને અંજીર જેવાં જ ફળ આવે છે. તે પાકે ત્યારે ખાઈ શકાય. તેનું શાક પણ કરી શકાય. વાંદરા અને વિવિધ જાતિના પક્ષીઓ ને આ વૃક્ષના ફળ ખુબ આકર્ષે છે.
 
ફળ અને વૃક્ષ બંને એકજ નામથી ઓળખાય છે.  પાકા ફળોની અંદર સામાન્ય રીતે પુષ્કળ પ્રમાણમાં જીવાત જોવા મળે છે અને તેને લીધેજ આ વૃક્ષને જીવાત્મા કે પિતૃઓ નું સ્થાન માનવામાં આવે છે અને કહે છે કે આ વૃક્ષની નીચે બેસીને કરેલ પિતૃ તર્પણની વિધિ ઉત્તમ ફળ આપે છે.

આ વૃક્ષના કેટલાક આયુર્વેદિક ઉપયોગો આ લીંક પર આપેલા છે.
 

Wednesday, November 11, 2009

ખીજડો [Prosopis cineraria]

વૈજ્ઞાનિક નામ: Prosopis cineraria

ગુજરાતમાં ખીજડા ના ૧૫ થી ૩૦ ફુટ ઊંચા વૃક્ષ ઘણાં થાય છે. Prosopis કુળનું વૃક્ષ હોવાનાં કારાણે કાંટાળું તો હોવાનું જ.

પાંડવોએ આ વૃક્ષ પર તેમના વનવાસ દરમ્યાન પોતાના સશ્ત્રો સંતાડી રાખ્યા હતા એવી માન્યતાને કારણે, ગુજરાતમાં ઘણી જગ્યાએ દશેરાના દીવસે, સશ્ત્રપુજનની સાથે સાથે આ વૃક્ષની પણ પુજા થાય છે.

આ વૃક્ષના મૂળ ૬૦ થી ૮૦ ફૂટ જેટલા ઊંડા જાય છે. ઝાડની ડાળીઓ પાતળી, ઝુકેલી અને ભૂખરા રંગની અને છાલ ફાટેલી, ખરબચડી, બહારથી શ્વેતાજેવી, અંદરથી પીળી-ભુખરી થાય છે. તેનાં પાન બાવળ કે આમલીના પાન જેવાં પણ નાના, સંયુક્ત, એક સળી પર ૧૨ જોડકામાં હોય છે. તેની પર પીળાશ પડતાં સફેદ પુષ્‍પો થાય છે. ઝાડ પર ચોમાસામાં ૪ થી ૮ ઈંચ લાંબી અર્ધા ઈંચ જાડી, સફેદ રંગની અને અંદર ભૂખરા (ધૂળિયા) રંગના બીજ થાય છે. કાચી શિંગોનું શાક કરી મારવાડમાં ખવાય છે. પાકી શિંગો મધુર હોઈ, બાળકો તે ખૂબ પ્રેમથી ખાય છે. તેની મોટી અને નાની બે જાતો થાય છે. મોટી જાતને ખીજડો, નાનીને ખીજડી કહે છે